આર્ય સંસ્કૃતિમાં માતાને ગૌરી શિખર સ્થાપી તેની પુજા કરવામાં આવે છે. માતાનું આવુ મહાત્મય આપણી સંસ્કૃતિમાં એટલુ વ્યાપ્ત છેકે ધરતીને અને નદીને પણ માતૃત્વ પ્રાપ્ત થયું છે. આવી જ એક લોકમાતા સોરઠ પ્રદેશમાં ‘ઓઝત’ સ્વરૂપે ઓળખાય છે.
સોરઠ પ્રદેશનું પૌરાણિક મહત્વ હજારો વર્ષ જૂનું છે.ઈતિહાસવિદો આપણા ગરવા ગીરનારને ‘હિમાલયનો મોટો ભાઈ કહે છેં. સંત શુરા અને સાવજથી સુવિખ્યાત એવી આ પાવન ભોમકા પર ઓઝત નદીને કિનારે જૂનાગઢ શહેરથી દક્ષિણ–પશ્વિમે ૧૩–૧૪ કિ.મી દૂર વંથલી તાલુકાનુ નાનુ ગાંઠિલા ગામ આવેલું છેં.
મુખ્યત્વે કડવા પાટીદાર ઉપરાંત કોળી ભરવાડ હરિજન અને સગર જ્ઞાતિનો પરિવારની આશરે ૧પ૦૦ ની જન સંખ્યા ધરાવતું ગાંઠિલા ગામ વસેલું છેં.
આવા ગાંઠિલા ગામમાં જીવાબાપા જાગાણી ( ભગતબાપા ) ના પરિવારમાં જન્મેલા શ્રી નાનજીબાપા પણ ધર્મપરાયણ સંસ્કાર વારસો પામીને ‘ભગત’ તરીકે જ ઓળખાતા હતા. પરિવાર ની આર્થીક સ્થિતિ નબળી હોવા છતાં પોતાના કામધંધા કરતાંયા સાધુ – સંતો અને ગરીબ ગુરબાની સેવામાં વ્યસ્ત રહેતા નાનજીબાપા ભકિતપરાયણ જીવન જીવતા. સંવત ર૦૩૩ ના વર્ષની કોઈ એક રાત્રીના શ્રી નાનજીબાપાને માં ઉમિયાજી સ્વપ્નમાં આવ્યા. ભગવદ સ્વભાવના શ્રી નાનજીબાપાએ આ બાબતને ગંભીરતાથી ન લીધી. પરંતુ ત્યારબાદ અવારનવાર માતાજી એમને સ્વપ્ન માંજ આવવાં લાગ્યાં.સ્વપ્નમાં જ થતા આવા કોઈ વાર્તલાપમાં માતાજીએ ભગતબાપાને પ્રગટ થવાની ઈચ્છા દર્શાવી. આ હકીકત ૧૦૦–ર૦૦ વર્ષ પહેલા બની હોતી તો હરકત ન હતી આજના આધુનિક યુગમાં ( આશરે ૩૦ – ૩૧ વર્ષ પહેલાં ) આવી કોઈ વાત માનશે નહીં, એમ માનીને નાનજીબાપાએ આ વાત કોઈને કહી નહીં, પરંતું સદાય મસ્ત સ્વભાવના નાનજીબાપા આ ઘટના બાદ ઉદાસ રહેવા લાગ્યાં ગામના આગેવાનો તથા પરિવારના સૌની સતત પુછપરછને અંતે બાપાએ પોતાની ઉદાસીનું કારણ અને સ્વપ્નની હકીકત સૌને જણાવી ગામના આગેવાનો સર્વશ્રી મહિદાસબાપા,નાનજીબાપા કમાણી,અનેદેવશીભાઈ લાડાણી વિગેરેનો સધિયારો મળ્યો કે,’ભલે પધારે માતાજી,માં સ્વયં આપણાં આંગણે માં પધારે એનાથી રૂડું બીજું શું હોય ! હવે માતાજી સ્વપ્નમાં આવે પ્રાગટયની અનુમતી આપી સ્થળ, સમયની નિશાની માગી લેજો.’
એકાદ અઠવાડીયા બાદ માતાજી ફરીથી સ્વપ્નમાં આવ્યા.પ્રાગટયનો ચોકકસ દિવસ,સમય અને સ્થળ અને ઓળખવાની નિશાનીઓ આપી. જુઓ તો ખરા, માતાજીએ પ્રાગટયનો દિવસ કેવો પસંદ કર્યો છેં.! વિજયા–દશમી.જગદંબાની ઉપાસનાનું પર્વ નવરાત્રી અને એની પુર્ણાહુતી સ્વરૂપે જભારતભરમાં ઉજવાતો ઉત્સવ.વિક્રમ સંવત ર૦૩૩ આસો સુદ ૧૦ શુક્રવાર તા ર૧ – ૧૧ – ૧૯૭૭ ના રોજ સવારના ૯–૧પ કલાકે માતાજીએ સૂચવેલા સ્થળે, ઓઝતના કાઠે આવેલા ખેતરની ઉતર દિશા ના શેઢા ઉપર,બાવળ બોરડીના ઝાળા વચ્ચે કંકુનો સાથીયો અને સોપારીની નિશાની જોવા મળી, અને માતાજીએ સૂચવેલા મૂહુરતે ઝાળી ઝાંખરા દૂર કરી ખોદકામ કરતા લાલચુંદડીનું આવરણ ઓઢી સ્વયં જગદંબા જગજનની માતા ઉમિયાજી પ્રગટ થયા. ભગતબાપા એ ચુંદડીનું આવરણ ખસેડતા જ ચોમેર તેજપુંજ છવાઈ ગયો. માતાજીની મુર્તિ સામે મીટ માંડતા જ આંખો અંજાઈ જાય તેવું તેજોમય સ્વરૂપ ત્યાં ઉભેલા સૌને જોવા મળ્યું. માં ઉમિયાનો જય જય કાર કરી સૌ આનંદની અભિવ્યકિત કરતા નાચવા લાગ્યા.
ઓઝતને કાંઠે આવેલ આ સ્થળેથી ગિરનાર પર બિરાજતાં માં અંબા–જગદંબા સાથે સીધી દ્રષ્ટિ મળે તેવું સ્થળ પસંદ કરી માં એ પોતાના બેસણાની પસંદગી યોગ્ય ઠેરવી છે.
સોરઠની પવિત્ર ધરતી પર આ હતું માં ઉમિયાનું પ્રાગટય, તુરત જ ત્યાં ઓટલો બનાવી માતાજીનું સ્થાપન થયું. આ વાત ચોમેર વાયુવેગે ફરી વળી. ચોતરફથી હજારો ભાવીકો માતાજીના દર્શનાર્થે ઉમટી પડયા,શ્રી નાનજીબાપાના પિતાશ્રી જીવાબાપાએ પોતાની ર૦ વિધા જમીનમાંથી મંદિર ને જોઈએ તેટલી જમીન વિના મૂલ્યે આપવાની તૈયારી દર્શાવી. પરંતુ ભગતબાપાની આર્થીક સ્થિતિ ધ્યાન માં લઈ આગેવાનોએ પ વિધા જમીન રૂા.૧પ હજારમાં નકકી કરી. ગામના આગેવાન શ્રી મહિદાસ બાપાના પ્રમુખપદે ટ્રસ્ટની સ્થાપના થઈ. કેશોદના ડાહ્યાભાઈ ભીમાણી ટ્રસ્ટના મંત્રી બન્યા અને નાનું એવું મંદિર બનાવી તેમાં માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી.કેટલાંક વૃક્ષોવાવીને મંદિર પરિસરને રળિયામણું બનાવવામાં આવ્યું. સોરઠ પ્રદેશના ઉમાવંશી પરિવારોએ માં ઉમાના પ્રાગટયને હરખ ભેર વધાવ્યું.
સને ૧૯૮૩ ના વર્ષમાં ( તા ર૩–૬–૧૯૮૩ )સોરઠ પ્રદેશમાં ભયંકર વાવાઝોડું અને અતિવૃષ્ટિના કારણે ભયાનક પુર હોનારતની આફત આવી.અનેક નદીઓ ગાંડીતુર બની. ઓઝત જેવી લોકમાતાએ પણ પોતાના કિનારે વસેલા અનેક ગામોને નારાજ કરી મુકયા.સેંકડો લોકો મૃત્યુ પામ્યા અને હજારો ઢોર તણાયાં. લાખો લોકો બેધર બન્યા.કરોડો રૂપિયાની માલ–મિલકત નાશ પામી. આપણું નાનકડું ઉમાધામ તો સાવ ઓઝતને કાંઠે જ.મંદિર તથા માતાજીની મૂર્તિ ઓઝતના ધોડાપુરમાં તણાઈ ગયા. માતાજી જાણે આશ્વાસન આપતા હોય…તમારા સુખે સુખી,તમારા દુઃખે દુઃખી ! જુઓ,મારું ઘરને હું પણ તણાઈ રહ્યા છીએ !
નાનજીબાપા તથા અન્ય શ્રધ્ધાળુઓ ઉદાસ થઈ ગયા.માતા વિના સુનો સંસાર.આખા વિસ્તારમાં ખુબ શોધખોળ કરતા પણ માતાજીની મૂર્તિ હાથમાં ન આવી.ભગતનું હદય વલોપાત કરતું હતું. માં વિના તેઓ અર્ધપાગલ જેવા બની ગયા પાંચેક માસની કસોટી બાદ માતાજી ફરીથી ભગતના સ્વપ્નમાં આવ્યાં.પોતાના ભકતની હાલત તેમનાથી અજાણી કયાંથી હોય ! ભગતને આશ્વાસન આપતા કહ્યું કે બેટા,હું તારાથી દૂર ગઈ જ નથી.હું તારા ખેતરના આથમણો શેઢે જ છું. ફરીથી નિશાનીઓ આપતા – ગામના આગેવાનો તથા ટ્રસ્ટના તે વખતના ચેરમેન શ્રી નારણભાઈ મકવાણા,શાપુરની હાજરીમાં કંકુ સોપારીની નિશાનીવાળી જગ્યાએ ખોદકામ કરતા માતાજીની મૂર્તિ મળી આવી. માતાજીનું સ્થાપન મૂળ જગ્યાએ કરવામાં આવ્યું.પુનઃપ્રતિષ્ઢા સંવત ર૦૪૦ કારતક વદ પ શુક્રવાર તા.રપ–૧૧–૧૯૮૩ ના રોજ સવારે ૧૦–પ૦ કલાકે સંપન્ન થઈ હતી.
આજે જીવાબાપા કે નાનજીબાપા આપણી વચ્ચે હયાત નથી.એ વખતના ટ્રસ્ટીઓ કે આગેવાનોમાંથી મોટા ભાગના હયાત નથી,પરંતુ તેઓ સૌને એક કામ સોંપતા ગયા છે. મંદિરના માધ્યમે સમાજને સંગઠિત કરી સમાજ સેવાનું ભગીરથ કાર્ય આપણા સૌની રાહ જોઈ રહ્યું છેં આપણે સૌ આવું કાર્ય માં ઉમાના આશીર્વાદ તો પ્રાપ્ત કરીશું જ પરંતુ એ જોઈને શ્રી નાનજીબાપાનો પુનિત આત્મા જયાં હશે ત્યાં પ્રસન્નતા અનુભવતો હશેં.